*નોરતાના પ્રથમ દિવસે જગદંબારૂપી દિકરીઓને બચાવવાની દિશામાં આરોગ્ય તંત્રની સરાહનીય કામગીરી* 17/10/20
*નોરતાના પ્રથમ દિવસે જગદંબારૂપી દિકરીઓને બચાવવાની દિશામાં આરોગ્ય તંત્રની સરાહનીય કામગીરી*
*સિહોરમાં ડો.ભરતભાઈ પુરોહિતની હોસ્પિટલ ખાતેથી ગેરકાયદેસર વાઇફાઇ સોનોગ્રાફી મશીન પકડી પાડતું જિલ્લા આરોગ્ય તંત્ર*
ભાવનગર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તથા સમગ્ર આરોગ્ય વિભાગ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભૃણ હત્યાના કાવત્રાને અટકાવવાની ખાસ ઝુંબેશ, કાયદાકીય ઝુંબેશ અને લોક જાગૃતિના ભાગરૂપે સિહોર ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટીના આદેશ અન્વયે આયુર્વેદિક ડિગ્રી ધરાવતા વૈદ્ય ભરતભાઈ પુરોહિતના દવાખાનાની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.જેમાં ગેરકાયદેસર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા ડો.ભરતભાઈ પુરોહિત સ્થળ પર જ રંગેહાથ ઝડપાઇ જતા સ્થળ પર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીન અને ઇમેજ જોવા માટેનું ટેબલેટ, મોબાઈલ ચાર્જર વગેરે સાધનો પંચોની હાજરીમાં જપ્ત કરવામા આવ્યા હતા.જે અન્વયે હાલ આગળની કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦૮ના વર્ષમાં આ તબીબ સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તદુપરાંત ૨૦૧૫ માં પણ આ ડોકટર સામે માતામરણ થવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
આ કાર્યવાહીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી, જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.ના શ્રી નિપુલભાઈ ગોંડલિયા,ધારીણીબેન ત્રિવેદી, પ્રતિકભાઈ ઓઝા તથા તાલુકાની ટીમના સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
*તસ્વીર અભિષેક પંડિત રંઘોળા*
Comments
Post a Comment